Skip to content
Methodist Church Nadiad

યર્મિયા ૧૧

100%

યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;

“આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ.

તેઓને કહે કે, યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તે શાપિત થાઓ.

જે દિવસે હું તમારા પિતૃઓને મિસરમાંથી લોખંડની ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “મારું વચન સાંભળો અને જે વાત વિષે હું આજ્ઞા આપું છું તે સર્વનું પાલન કરશો તો તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.”

મારી આજ્ઞાનું પાલન કરો જેથી દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા હતા તે હું આપીશ. ત્યારે મેં ઉત્તર આપી અને કહ્યું, ‘હે યહોવાહ આમીન!’”

યહોવાહે મને કહ્યું, ‘યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આ સર્વ વચન પોકારો. કહો કે, “આ કરારનાં વચન સાંભળો તથા તેઓને પાળો.” તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન ઈશ્વરને આપ્યું હતું તે બધું તમે કરો.

કેમ કે જ્યારે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, ત્યારથી તે આજ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેઓને ખંતથી ચેતવણી આપતો આવ્યો છું કે, “મારું કહ્યું સાંભળો.”

પણ તેમણે માન્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ પોતાના દુષ્ટ દુરાગ્રહ મુજબ ચાલ્યા. તેથી મેં આ કરાર પાળવાની તેમને આજ્ઞા આપી હતી. પણ તેનું તેઓએ પાલન કર્યું નહિ. તેથી તેઓનાં સર્વ વચન મુજબ હું તેઓના પર વિપત્તિ લાવ્યો.’”

પછી યહોવાહે મને કહ્યું, “યહૂદિયાના અને યરુશાલેમના લોકોમાં મને કાવતરું માલૂમ પડ્યું છે.

૧૦તેઓ પોતાના પિતૃઓના પાપ ભણી પાછા ફર્યા છે, તેઓએ મારું કહ્યું સાંભળવાની ના પાડી હતી. અને અન્ય દેવોની પૂજા કરવા માટે તેઓની પાછળ ગયા છે. ઇઝરાયલ અને યહૂદિયાના વંશજોએ તેઓના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”

૧૧તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; “જુઓ, હું તેઓ પર વિપત્તિ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.

૧૨યહૂદિયાનાં નગરોના અને યરુશાલેમના વતનીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેઓને મદદ માટે હાંક મારશે. પણ તેઓ તેમની વિપત્તિ વેળાએ તેઓને જરા પણ બચાવશે નહિ.

૧૩હે યહૂદિયા તારાં જેટલાં નગરો છે તેટલાં તમારા દેવો છે. અને તમે ઘૃણાસ્પદ વસ્તુઓને નામે યરુશાલેમના મહોલ્લા જેટલી વેદીઓ બાંધી છે. એટલે બઆલની આગળ ધૂપ બાળવા સારુ વેદીઓ બાંધી છે.

૧૪તેથી તું, હે યર્મિયા, આ લોકો માટે વિનંતી કરીશ નહિ. તેઓના માટે કાલાવાલા કે પ્રાર્થના કરીશ નહિ. કેમ કે જ્યારે તેઓ પોતાના સંકટના સમયે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળવાનો નથી.

૧૫હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.

૧૬પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.

૧૭ઇઝરાયલના લોકોએ અને યહૂદાના લોકોએ મને રોષ ચઢાવવા માટે બઆલની આગળ ધૂપ બાળીને પોતાના હિતની વિરુદ્ધ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ તારા પર વિનાશ લાવ્યા છે.

૧૮યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.

૧૯ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.

૨૦પણ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ અદલ ન્યાયાધીશ અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમની પર તમે વાળેલો બદલો મને જોવા દો કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.

૨૧તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’

૨૨તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.

૨૩પરંતુ તેઓમાં કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે હું અનાથોથના માણસો પર આફત લાવીશ. એટલે તેઓ પર શિક્ષાનું વર્ષ લાવીશ.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.