Skip to content
Methodist Church Nadiad

લૂક ૧૫

100%

હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.

ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”

ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,

‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?

તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.

ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે.

હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?

તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે.

૧૦હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”

૧૧વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા.

૧૨તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી.

૧૩અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.

૧૪અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.

૧૫તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો.

૧૬ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.

૧૭એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!

૧૮હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;

૧૯હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.

૨૦પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.

૨૧દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.

૨૨પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો;

૨૩ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ.

૨૪કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.

૨૫હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો.

૨૬તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે?

૨૭ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.

૨૮પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.

૨૯પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.

૩૦પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.

૩૧પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે.

૩૨આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.