Skip to content
Methodist Church Nadiad

માથ્થી ૧૪

100%

તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.

તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.

કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”

હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.

પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.

ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”

હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.

૧૦તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.

૧૧અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.

૧૨ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

૧૩ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.

૧૪ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.

૧૫સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”

૧૬પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”

૧૭તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”

૧૮ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”

૧૯પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.

૨૦તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.

૨૧જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

૨૨પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.

૨૩લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.

૨૪પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

૨૫રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.

૨૬શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.

૨૭પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”

૨૮ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”

૨૯ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.

૩૦પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”

૩૧ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”

૩૨પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.

૩૩હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”

૩૪તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.

૩૫જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.

૩૬તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.