Skip to content
Methodist Church Nadiad

નહેમ્યા ૯

100%

હવે એ જ માસને ચોવીસમે દિવસે ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, શોકનાં વસ્ત્ર પહેરીને અને પોતાના ઉપર ધૂળ નાખીને એકઠા થયા.

જેઓના પિતૃઓ ઇઝરાયલી હતા તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઊભા થઈને પોતાનાં પાપો અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કર્યા.

તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને ત્રણ કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાહનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાહની આગળ નમીને આરાધના કરી.

લેવીઓ એટલે યેશૂઆ, બાની, કાદમીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરી.

ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદમીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને આપણા યહોવાહ જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ આશીર્વાદ અને સ્તુતિની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો.

તમે જ એક માત્ર યહોવાહ છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

તમે તે જ યહોવાહ છો કે, જેમણે ઇબ્રામને પસંદ કર્યો, તમે જ તેને ખાલદીઓના ઉરમાંથી બહાર લાવ્યા અને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.

તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડ્યુ. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના વંશજોને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો. તમે તમારું વચન પાળ્યું કેમ કે તમે ન્યાયી છો.

મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ તમે જોયાં અને લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો.

૧૦તમે ફારુન, તેના સર્વ ચાકરો અને તેના દેશના સર્વ લોકોની વિરુદ્ધ ચિહ્ન તથા ચમત્કારો બતાવ્યા. કેમ કે તમે જાણતા હતા કે તેઓ ગર્વથી વર્તતા હતા. પણ આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યુ.

૧૧તમે તેઓની સામે સમુદ્રના બે ભાગ કર્યા. તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડુબાડી દીધા.

૧૨જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.

૧૩તમે સિનાઈ પર્વત પર પણ ઊતરી આવ્યા. તમે આકાશમાંથી તેઓની સાથે વાત કરી અને તેઓને સત્ય નિયમો, સારા વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.

૧૪તમે તમારા પવિત્ર વિશ્રામવાર વિષે તેઓને જ્ઞાન આપ્યું અને તમારા સેવક મૂસા મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો ફરમાવ્યા.

૧૫તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓ તરસ્યા હતા ત્યારે તમે તરસ છીપાવવા ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે દેશ તેઓને આપવા માટે તમે સમ ખાધા હતા તેને કબજે કરીને તેમાં રહેવાની તમે તેઓને આજ્ઞા આપી.

૧૬પરંતુ તેઓએ અને અમારા પૂર્વજોએ ગર્વ કરીને પોતાનો અનાદર કર્યો અને તમારી આજ્ઞાઓની અવગણના કરી.

૧૭તેઓ સમક્ષ તમે જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઈને તેઓએ તમારું કહ્યું કરવાની ના પાડી. તેઓ હઠીલા થઈ ગયા અને તેઓએ પાછા મિસર જઈને ફરી ગુલામીની સ્થિતિ સ્વીકારવા બંડ કરીને પોતાને માટે એક આગેવાન નિયુક્ત કર્યો. પણ તમે તો ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, દયાળુ, ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમાળ ઈશ્વર છો. તેથી તમે તેઓને ત્યજી દીધા નહિ.

૧૮તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવીને કહ્યું, “આ અમારો દેવ છે જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, આમ તેઓએ ક્રોધ જન્માવે એવાં ઘણા કામો કર્યા.

૧૯તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.

૨૦વળી પ્રબોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો અને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ તેમ જ તેઓની તરસ છીપાવવા તમે તેઓને પાણી આપ્યું.

૨૧ચાળીસ વર્ષ સુધી તમે અરણ્યમાં તેઓની સંભાળ લીધી, તે સમય દરમિયાન તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂના થયા નહિ કે તેઓના પગ સૂઝી ગયા નહિ.

૨૨તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.

૨૩વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેઓની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તમે તેઓને વસાવ્યા.

૨૪એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.

૨૫તેઓએ કિલ્લાવાળાં નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઈ લીધા અને સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષવાડીઓ, જૈતૂનવાડીઓ તથા પુષ્કળ ફળવૃક્ષો તેઓના કબજામાં આવ્યાં. તેથી આ સર્વ સમૃદ્ધિથી તેઓ સંતુષ્ટ થયા અને તમારી મોટી કૃપાથી તેઓ આનંદ પામ્યા.

૨૬તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.

૨૭માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો, તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.

૨૮પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.

૨૯તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.

૩૦છતાં પણ તમે તેઓ પ્રત્યે ઘણાં વર્ષો સુધી ધીરજ રાખી અને તેઓને તમારા આત્મા દ્વારા તથા તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી. પણ તેઓએ સાંભળ્યું નહિ. તેથી તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.

૩૧પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહિ કે, તેઓનો ત્યાગ કર્યો નહિ.

૩૨હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર, આશ્શૂરના રાજાઓના સમયથી તે આજ દિવસ સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા આગેવાનો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પૂર્વજો પર તથા તમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં નજીવાં ગણશો નહિ.

૩૩અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વિશ્વાસુપણે વાજબી કર્યું છે અને અમે દુષ્ટતા આચરી છે.

૩૪અમારા રાજાઓએ, અમારા અધિકારીઓએ, અમારા યાજકોએ અને અમારા પૂર્વજોએ તમારો નિયમ પાળ્યો નથી અને તમારી આજ્ઞાઓ તથા તમારાં વચનો, જે વડે તમે તેઓને ચેતવણી આપી હતી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.

૩૫તમે તેઓના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ અને તેઓએ દુષ્ટ કૃત્યો કર્યે રાખ્યાં. એવું કરવાથી પાછા વળ્યા નહિ.

૩૬જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો, તેનાં ફળ અને તેની ઉત્તમ ઊપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે ગુલામ છીએ!

૩૭અમારા પાપોને કારણે જે રાજાઓને તમે અમારા ઉપર નીમ્યા છે, તેઓને તે દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઇચ્છા પ્રમાણે અમારા શરીરો પર તથા અમારા જાનવરો પર અધિકાર ચલાવે છે. તેનાથી અમે ભારે સંકટમાં આવી પડ્યા છીએ.

૩૮એ સર્વને લીધે હવે અમે ચોક્કસ કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા આગેવાનો, લેવીઓ તથા યાજકો પોતપોતાની મહોર મારે છે.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.