ગણના ૨૫
૧ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.
૨કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી.
૩ઇઝરાયલના માણસો બઆલ-પેઓરની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.
૪યહોવાહે મૂસાને કહ્યું કે, “લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે લોકોની સમક્ષ તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય.”
૫તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.”
૬ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.
૭જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો.
૮તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ.
૯જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.
૧૦પછી યહોવાહે મૂસાને કહ્યું,
૧૧“હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા રોષને શાંત કર્યો છે કેમ કે તે મારી પ્રત્યે ઝનૂની હતો. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.
૧૨તેથી કહે કે, ‘યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.
૧૩તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું.”
૧૪જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો.
૧૫જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.
૧૬પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,
૧૭“મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,
૧૮કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”
