ગીતશાસ્ત્ર ૧૦૧
૧કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
૨હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
૩હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
૪અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
૫જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
૬દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.
૭કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.
૮આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.
