ગીતશાસ્ત્ર ૫૫
૧હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.
૨મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
૩દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
૪મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
૫મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
૬મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
૭હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ
૮પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
૯હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
૧૦તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
૧૧તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
૧૨કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
૧૩પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર.
૧૪આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
૧૫એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.
૧૬હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે.
૧૭હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે.
૧૮કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
૧૯ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
૨૦મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
૨૧તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.
૨૨તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.
૨૩પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.
