ગીતશાસ્ત્ર ૫૬
૧હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
૨મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
૩જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
૪હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
૫તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
૬તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
૭તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
૮તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
૯જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે .
૧૦ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
૧૧ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
૧૨હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
૧૩કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.
