તિતસને પત્ર ૧
૧સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
૨અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું.
૩નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
૪ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
૫જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
૬જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
૭કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
૮પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
૯અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
૧૦કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
૧૧તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
૧૨તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”
૧૩આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,
૧૪તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
૧૫શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
૧૬અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.
