2 રાજાઓ ૭
૧એલિશાએ કહ્યું, “તમે યહોવાહનું વચન સાંભળો. યહોવાહ એવું કહે છે: “આવતી કાલે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.’”
૨ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
૩હવે નગરના દરવાજા આગળ ચાર કુષ્ઠ રોગી બેઠેલા હતા. તેઓ એકબીજાને કહેતા હતા, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?
૪જો આપણે નગરમાં જવાનું કરીએ તો નગરમાં દુકાળ છે, આપણે ત્યાં મરી જઈશું. જો આપણે અહીં રહીએ તોપણ આપણે મરી જઈશું. તો હવે ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું, જો તેઓ આપણને મારી નાખશે, તો આપણે મરી જઈશું.”
૫માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઊઠ્યા; જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું.
૬કેમ કે, પ્રભુ યહોવાહે અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો, તેથી તેઓએ એકબીજાને કહ્યું, “ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
૭તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા.
૮જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.
૯પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”
૧૦માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.”
૧૧પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
૧૨ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, ‘જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.’”
૧૩રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે, નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી પાંચ ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાંઓની હાલત કરતાં તેઓની હાલત ખરાબ નહિ હોય.”
૧૪માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.”
૧૫તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.
૧૬પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.
૧૭જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.
૧૮ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.
૧૯ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?” એલિશાએ કહ્યું હતું, “જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ.”
૨૦અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો.
