Skip to content
Methodist Church Nadiad

2 રાજાઓ ૬

100%

પ્રબોધકોના દીકરાઓએ એલિશાને કહ્યું, “જો, જે જગ્યાએ અમે તારી સાથે રહીએ છે તે જગ્યા અમારા માટે ખૂબ સાંકડી છે.

કૃપા કરીને અમને યર્દન જવા દે, કે ત્યાંથી દરેક માણસ લાકડાં કાપી લાવીએ અને ત્યાં અમારે રહેવા માટે ઘર બાંધીએ.” એલિશાએ કહ્યું, “તમે જાઓ.”

તેઓમાંના એકે કહ્યું, “કૃપા કરી તારા ચાકરો સાથે આવ.” એલિશાએ કહ્યું, “હું આવીશ.”

તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડાં કાપવા માંડયાં.

પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, “હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો.”

ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, “તે કયાં પડી છે?” એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું. તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી.

એલિશાએ કહ્યું, “તે ઉઠાવી લે.” માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી.

હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે.”

પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”

૧૦ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો.

૧૧આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?”

૧૨ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”

૧૩રાજાએ કહ્યું, “જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં.” તેને કહેવામાં આવ્યું કે, “જુઓ, તે દોથાનમાં છે.”

૧૪માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.

૧૫જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”

૧૬એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”

૧૭પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.

૧૮જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.

૧૯પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો.

૨૦જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.

૨૧ઇઝરાયલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “મારા પિતાજી, શું હું તેઓને મારું? તેઓને મારું?”

૨૨એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.”

૨૩માટે રાજાએ તેઓને સારુ પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યાં અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામનાં સૈન્યો ઘણાં લાંબા સમય સુધી ઇઝરાયલમાં પાછાં આવ્યાં નહિ.

૨૪ત્યાર પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરુનને ઘેરી લીધું.

૨૫સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.

૨૬ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”

૨૭તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?”

૨૮પછી રાજાએ તેને પૂછ્યું, “તને શું દુઃખ છે?” પેલી સ્ત્રીએ કહ્યું, “આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતી કાલે ખાઈશું.’

૨૯માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.”

૩૦જ્યારે રાજાએ આ સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. હવે રાજા નગરના કોટ પરથી જતો હતો તો લોકોએ જોયું, કે રાજાએ તેના અંગ પર શોકનાં વસ્ત્રો પહેર્યાં હતાં.

૩૧પછી તેણે કહ્યું, “જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવાહ મને એવું અને એ કરતાં વધારે વિતાડો.”

૩૨એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’

૩૩તે હજી તો તેમની વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશાવાહક તેની પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું, “જુઓ, આ વિપત્તિ યહોવાહ તરફથી આવી છે. તો શા માટે હું હવે પછી યહોવાહની રાહ જોઉં?”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.