પ્રેરિતોનાં કૃત્યો ૧૮
૧પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.
૨પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;
૩પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો (તંબુ ના વસ્ત્રો વણવાનો) હતો.
૪દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને (વચનમાંથી) સમજાવતો હતો.
૫પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી (ઈસુની) વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે.’”
૬પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
૭પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું.
૮અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
૯પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
૧૦કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
૧૧તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો.
૧૨પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ (સંપ કરીને) પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને (પાઉલને) ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
૧૩આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
૧૪પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
૧૫પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”
૧૬એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
૧૭ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
૧૮ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
૧૯તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે (પાઉલે) તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.
૨૦પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
૨૧પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
૨૨કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
૨૩થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.
૨૪આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
૨૫એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
૨૬તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.
૨૭પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો (આપોલસનો) આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ (પ્રભુની) કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;
૨૮કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર (વાદવિવાદ) માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.
