ઉત્પત્તિ ૨૫
૧ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
૨કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
૩શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
૪એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
૫ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
૬પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
૭ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
૮પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
૯તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
૧૦હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
૧૧ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
૧૨હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
૧૩ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
૧૪મિશમા, દુમા, માસ્સા,
૧૫હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.
૧૬તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
૧૭ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
૧૮હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા .
૧૯ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
૨૦ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
૨૧ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
૨૨તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
૨૩ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”
૨૪જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા.
૨૫જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
૨૬ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
૨૭તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
૨૮હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
૨૯એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
૩૦એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
૩૧યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”
૩૨એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.”
૩૩યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
૩૪યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
