Skip to content
Methodist Church Nadiad

ન્યાયાધીશો ૧૬

100%

સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો.

ગાઝીઓને ખબર મળી કે, “સામસૂન અહીં આવ્યો છે.” ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી, તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, “સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું.”

સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડી. ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સામેના શિખર પર લઈ ગયો.

તે પછી એવું થયું કે, સામસૂનને સોરેકની ખીણમાં રહેતી દલિલા નામની એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો.

પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, “તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહા બળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.”

અને દલિલાએ સામસૂનને કહ્યું, “કૃપા કરીને, તું મને કહે કે, તારું મહા બળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય?”

સામસૂને તેને કહ્યું, “કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ.”

ત્યારે પલિસ્તીઓના શાસકો કદી ન સુકાયેલા એવા સાત લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસૂનને તેનાથી બાંધ્યો.

હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!” પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ.

૧૦દલિલાએ સામસૂનને કહ્યું, “જો, તેં મને છેતરી છે અને મને જૂઠું કહ્યું છે. કૃપા કરીને, મને કહે કે તને કેવી રીતે નિર્બળ કરી શકાય.”

૧૧તેણે તેને કહ્યું, “જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા નવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ.”

૧૨તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં.

૧૩દલિલાએ સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.

૧૪જયારે તે સૂતો હતો, ત્યારે દલિલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે!” તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યાં.

૧૫તેણે તેને કહ્યું, “તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહા બળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”

૧૬તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને જીદ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો.

૧૭ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.”

૧૮જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, “આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે.” ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.

૧૯તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.

૨૦તેણે કહ્યું, “સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ.” પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે.

૨૧પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.

૨૨તોપણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.

૨૩પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટું બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, “અમારા દેવે સામસૂનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે.”

૨૪જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.”

૨૫જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે.” અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.

૨૬જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું.”

૨૭હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.

૨૮સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, “પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.”

૨૯વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો.

૩૦સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે મરું!” તેણે પોતાની સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી.

૩૧પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરાહ તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.