ગીતશાસ્ત્ર ૧૩૭
૧અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.
૨ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
૩અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
૪પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
૫હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
૬જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય .
૭હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.”
૮હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
૯જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.
