ગીતશાસ્ત્ર ૬૪
૧હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
૨દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
૩તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
૪કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
૫તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
૬તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
૭પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
૮એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
૯દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
૧૦ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
