Skip to content
Methodist Church Nadiad

રોમનોને પત્ર ૨

100%

તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.

પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.

અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?

અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?

તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.

તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.

એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.

પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,

તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.

૧૦પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;

૧૧ઈશ્વર પાસે પક્ષપાત નથી.

૧૨કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.

૧૩કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;

૧૪કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.

૧૫તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;

૧૬ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.

૧૭પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,

૧૮તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે

૧૯જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

૨૦બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.

૨૧ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?

૨૨વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?

૨૩તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?

૨૪કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”

૨૫જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.

૨૬માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?

૨૭શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?

૨૮કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.

૨૯પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.