Skip to content
Methodist Church Nadiad

હઝકિયેલ ૩૪

100%

ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?

તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.

તમે રોગિષ્ઠને બળવાન કર્યાં નથી, તમે બીમારને સાજાં કર્યાં નથી. તમે ભાંગી ગયેલાને પાટો બાંધ્યો નથી, નસાડી મુકાયેલાને તમે પાછાં લાવ્યા નથી કે ખોવાઈ ગયેલાંની શોધ કરી નથી: પણ તેઓના પર બળજબરી તથા સખતાઈથી શાસન ચલાવ્યું છે.

તેઓ ઘેંટાપાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.

મારાં ટોળું દરેક પર્વતો પર તથા દરેક ટેકરીઓ પર રખડતાં ફરે છે, તે ઘેટાં આખી પૃથ્વીની સપાટી પર વેરવિખેર થઈ ગયાં છે. તેઓને શોધનાર કોઈ નથી.”

માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:

પ્રભુ યહોવાહ કહે છે, “મારા જીવના સમ” “મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેંટાપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેંટાપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી.”

તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,

૧૦પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”

૧૧કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ટોળાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.

૧૨જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.

૧૩ત્યારે હું તેઓને લોકો મધ્યેથી બહાર લાવીશ; હું તેમને અન્ય દેશોમાંથી ભેગાં કરીને પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, ઝરણાં પાસે તથા દેશની દરેક વસતિવાળી જગ્યાઓમાં ચરાવીશ.

૧૪હું તેઓને સારી જગ્યાઓમાં ચરાવીશ; ઇઝરાયલના ઊંચા પર્વતો તેઓની ચરવાની જગ્યાઓ થશે. ત્યાં તેઓ સારી ચરવાની જગ્યાઓમાં સૂઈ જશે, તેઓ ઇઝરાયલના પર્વતો પર ચરશે.

૧૫હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

૧૬હું ખોવાયેલાની શોધ કરીશ, કાઢી મૂકેલાંને હું પાછું લાવીશ. હું ઈજા પામેલાં ઘેટાંને પાટો બાંધીશ, માંદાંને સાજાં કરીશ. અને પુષ્ટ તથા બળવાનનો નાશ કરીશ. હું તેઓનું ન્યાયથી પોષણ કરીશ.

૧૭હે મારાં ટોળું,” પ્રભુ યહોવાહ આમ કહે છે” જુઓ, “હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.

૧૮સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?

૧૯પણ મારાં ટોળું તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે.”

૨૦તેથી પ્રભુ યહોવાહ તેઓને કહે છે: “જો, હું પોતે આ પુષ્ટ તથા પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ,

૨૧કેમ કે તમે પાસાથી તથા ખભાથી ધક્કો મારીને તથા માંદાંને શિંગડાં મારીને દૂર સુધી નસાડી મૂક્યાં છે.

૨૨તેથી હું મારાં ટોળાંને બચાવીશ; હવે પછી તેઓને કોઈ લૂંટશે નહિ. અને ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.

૨૩હું તેઓના પર એક ઘેંટાપાળક ઊભો કરીશ, મારો સેવક દાઉદ તેઓનું પોષણ કરશે. તે તેઓનું પોષણ કરશે; તે તેઓનો ઘેંટાપાળક બનશે.

૨૪કેમ કે હું, યહોવાહ, તેઓનો ઈશ્વર થઈશ અને મારો સેવક દાઉદ તેઓની મધ્યે સરદાર થશે. હું યહોવાહ આમ બોલ્યો છું.

૨૫હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.

૨૬હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.

૨૭પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

૨૮હવે પછી કદી તેઓ પ્રજાઓની લૂંટ કરશે નહિ, હવે પછી પૃથ્વીનાં જંગલી પશુઓ તેઓને ખાઈ જશે નહિ, કેમ કે તેઓ નિશ્ચિંત રહેશે અને બીશે નહિ.

૨૯હું તેઓને ફળદ્રુપ જગ્યામાં સ્થાપીશ કે તેઓ ફરી ભૂખથી ભૂખે મરશે નહિ, કે કોઈ વિદેશી પ્રજા તેઓનું અપમાન કરશે નહિ.

૩૦ત્યારે તેઓ જાણશે કે, હું, યહોવાહ તેઓનો ઈશ્વર છું, હું તેઓની સાથે છું. ઇઝરાયલી લોકો મારા લોકો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.

૩૧“કેમ કે તમે મારાં ઘેટાં છો, મારા ચારાના ટોળું અને મારા લોકો છો, હું તમારો ઈશ્વર છું.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.