Skip to content
Methodist Church Nadiad

યોએલ ૩

100%

જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે, જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,

ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.

તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.

હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.

તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે, તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.

વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે, જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.

જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.

હું તમારા દીકરાઓને અને દીકરીઓને, યહૂદિયાના લોકોના હાથમાં આપીશ. તેઓ તેમને શેબાના લોકોને એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે, કેમ કે યહોવાહ એ બોલ્યા છે.

તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.

૧૦તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તલવારો બનાવો અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો. દુર્બળ માણસો કહે કે હું બળવાન છું.

૧૧હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.

૧૨“પ્રજાઓ ઊઠો. અને યહોશાફાટની ખીણમાં આવો. કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો, ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.

૧૩તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”

૧૪ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.

૧૫સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.

૧૬યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે, અને યરુશાલેમમાંથી પોકાર કરશે, પૃથ્વી અને આકાશ કાંપશે, પણ યહોવાહ તેમના લોકો માટે આશ્રયસ્થાન થશે, તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.

૧૭તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને પરદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.

૧૮તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.

૧૯મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.

૨૦પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.

૨૧તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,” કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.