નીતિવચનો ૧૫
૧નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.
૨જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.
૩યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.
૪નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.
૫મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
૬નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.
૭જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
૮દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
૯દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.
૧૦સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.
૧૧શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?
૧૨તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.
૧૩અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
૧૪જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
૧૫જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.
૧૬ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.
૧૭વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.
૧૮ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.
૧૯આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
૨૦ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.
૨૧અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.
૨૨સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.
૨૩પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
૨૪જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.
૨૫યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
૨૬દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે.
૨૭જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.
૨૮સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.
૨૯યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
૩૦આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે , અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
૩૧ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
૩૩યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.
