ગીતશાસ્ત્ર ૧૩૨
૧હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.
૨તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
૩તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
૪ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
૫વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
૬જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
૭ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
૮હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
૯તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
૧૦તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
૧૧યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
૧૨જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
૧૩હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
૧૪આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
૧૫હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
૧૬હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
૧૭ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
૧૮તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
