ગીતશાસ્ત્ર ૯૨
૧યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
૨સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
૩દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
૪કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
૫હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
૬અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
૭જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
૮પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
૯તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
૧૦તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે .
૧૧મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
૧૨ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
૧૩જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
૧૪વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
૧૫જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
