Skip to content
Methodist Church Nadiad

અયૂબ ૬

100%

પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,

“અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!

કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.

કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?

શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?

હું તેને અડકવા માગતો નથી; તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.

અરે, જો મારી વિનંતી સફળ થાય; અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!

એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!

૧૦તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.

૧૧મારું બળ શું છે કે હું સહન કરું? અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?

૧૨શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે?

૧૩શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?

૧૪નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે.

૧૫પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,

૧૬જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.

૧૭તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.

૧૮તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.

૧૯તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ.

૨૦પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.

૨૧કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.

૨૨શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?’ અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?’

૨૩અથવા, ‘મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?’ કે, ‘જુલમીના હાથમાંથી મને છોડાવો?’

૨૪મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.

૨૫સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?

૨૬પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?

૨૭હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.

૨૮તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.

૨૯તો હવે કૃપા કરીને પાછા ફરો ; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.

૩૦શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.