માર્ક ૯
૧ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”
૨છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.
૩ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
૪એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
૫પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’”
૬શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
૭એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”
૮તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
૯તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”
૧૦તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
૧૧તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”
૧૨ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’”
૧૩પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”
૧૪તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.
૧૫તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.
૧૬ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”
૧૭લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
૧૮જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’
૧૯પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”
૨૦તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
૨૧ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”
૨૨તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”
૨૩ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’”
૨૪તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’”
૨૫ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”
૨૬ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”
૨૭પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
૨૮ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’”
૨૯ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”
૩૦ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
૩૧કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
૩૨તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
૩૩તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
૩૪પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”
૩૫ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”
૩૬તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,
૩૭‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”
૩૮યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’”
૩૯પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
૪૦કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’”
૪૧કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.
૪૨જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
૪૩જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે
૪૪તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
૪૫જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે
૪૬તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
૪૭જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું,
૪૮કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
૪૯કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.
૫૦મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.
