Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૩૭

100%

દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.

કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.

યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.

પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.

તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.

તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.

યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.

દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.

૧૦થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.

૧૧પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.

૧૨દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.

૧૩પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.

૧૪નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.

૧૫તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.

૧૬નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.

૧૭કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.

૧૮યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે

૧૯જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.

૨૦પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.

૨૧દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.

૨૨જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.

૨૩માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.

૨૪જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.

૨૫હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.

૨૬આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.

૨૭બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.

૨૮કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.

૨૯ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.

૩૦ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.

૩૧તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.

૩૨દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

૩૩યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.

૩૪યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.

૩૫અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.

૩૬પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.

૩૭નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.

૩૮દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.

૩૯યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.

૪૦યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.