ગીતશાસ્ત્ર ૭૫
૧હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
૨પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
૩જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
૫તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
૬ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
૭પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
૮કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
૯પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
૧૦તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
