કરિંથીઓને પહેલો પત્ર ૧૨
૧હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.
૨તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.
૩માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.
૪કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
૫સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
૬કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
૭પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
૮કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
૯કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
૧૦કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
૧૧પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
૧૨કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
૧૩કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
૧૪પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
૧૫જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
૧૬જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
૧૭જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
૧૮પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
૧૯જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
૨૦પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
૨૧આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
૨૨વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;
૨૩શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.
૨૪આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.
૨૫એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.
૨૬અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.
૨૭હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.
૨૮ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.
૨૯શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?
૩૦શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
૩૧જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.
