Skip to content
Methodist Church Nadiad

1 શમુએલ ૩૦

100%

દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.

અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.

જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.

પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.

દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.

દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.

દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “હું તને વિનંતિ કરું છું કે, એફોદ અહીં મારી પાસે લાવ.” અબ્યાથાર એફોદ દાઉદ પાસે લાવ્યો.

દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”

તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.

૧૦પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.

૧૧તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;

૧૨અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.

૧૩દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.

૧૪અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”

૧૫દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”

૧૬તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.

૧૭દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.

૧૮જે સઘળું અમાલેકીઓ લઈ ગયા હતા તે દાઉદે પાછું મેળવ્યું; અને દાઉદે પોતાની બન્ને પત્નીઓને મુક્ત કરાવી.

૧૯નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો.

૨૦દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”

૨૧જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળાં આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.

૨૨પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”

૨૩પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.

૨૪આ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ પુરવઠા પાસે રહેનારને પણ મળશે; તેઓને સરખો ભાગ મળશે.”

૨૫તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા.

૨૬જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”

૨૭તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,

૨૮અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.

૨૯તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,

૩૦હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,

૩૧હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.