Skip to content
Methodist Church Nadiad

પ્રેરિતોનાં કૃત્યો ૧૫

100%

કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.

અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.

તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.

પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’

ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.

અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.

અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,

અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.

૧૦તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?

૧૧પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.

૧૨ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.

૧૩તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;

૧૪પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.

૧૫પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,

૧૬“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;

૧૭એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

૧૮પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”

૧૯માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;

૨૦પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

૨૧કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.

૨૨ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.

૨૩તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.

૨૪અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.

૨૫માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.

૨૬કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.

૨૭માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.

૨૮કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

૨૯એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

૩૦પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.

૩૧તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.

૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.

૩૩તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

૩૪પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું

૩૫પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.

૩૬કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’

૩૭યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.

૩૮પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.

૩૯ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

૪૦પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.

૪૧સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.