ગીતશાસ્ત્ર ૧૦૯
૧હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
૨કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
૩તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
૪તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
૫તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
૬મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
૭જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
૮તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
૯તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
૧૦તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
૧૧તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
૧૨તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
૧૩તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
૧૪તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
૧૫તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
૧૬કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
૧૭બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
૧૮તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
૧૯પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
૨૦જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
૨૧હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
૨૨કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
૨૩હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
૨૪ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
૨૫હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
૨૬હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
૨૭તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
૨૮જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
૨૯મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
૩૦હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
૩૧કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
