ઉત્પત્તિ ૫
૧આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
૨પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
૩જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
૪શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
૫આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૬જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
૭અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૮શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૪કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૫જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
૧૬યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૭માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૮જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
૧૯હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૦યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૨૧તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
૨૨મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૩હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
૨૪હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
૨૫જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
૨૬લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૭મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૨૮જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
૨૯તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”
૩૦નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૩૧લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૩૨નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
